રાજા મેઘરથ

ભગવાન શાંતિનાથ પૂર્વ ભવે મેઘરથ રાજા હતા, જે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી પુંડરીકગીરી નગરીના રાજા ધનરથના પુત્ર હતા. રાજા ધનરથે પોતાનું રાજ્ય એના પુત્રને સોંપી સંન્યાસ ધારણ કરી લીધો.

મેઘરથ એક ધર્મપ્રિય રાજા હતા.તેઓ ખુબ જ દયાળુ હતા અને બધા જીવોની રક્ષા કરતા. એક ક્ષત્રિય યોદ્ધા હોવાથી એમની અંદર એટલો વિનય અને વિવેક હતો કે કોઈને તકલીફમાંથી બચવવા માટે તેઓ પોતાનું બધું જ બલિદાન કરી નાખતા.

આ એ સમય ની વાત છે, જયારે તેઓ એક તરફી સ્વૈચ્છિક પરિત્યાગ વ્રતનું પાલન કરતા હતા અને તીર્થંકરો દ્વારા આપેલા ધર્મના પ્રચાર હેતુથી વ્યાખ્યાન શરુ કરવાના હતા. ત્યારે અચાનક એક ભયથી કાંપતો કબુતર એમના ખોળામાં આવીને પડયુ  અને  રૂંધાતા મનુષ્ય અવાજે બોલ્યુ, " હે રાજા! મને બચાવો, મને તમારૂ શરણું આપો, મારું રક્ષણ કરો!". દયાળુ રાજાએ પક્ષીને પાસે લઈને પોતાના શરણમાં લીધો.

એ કબુતરનો પીછો કરતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. કબૂતરને રાજાની નિશ્રામાં જોઈને એ પણ મનુષ્યની ભાષામાં બોલ્યું," હે રાજા! આ કબુતર માંરુ ભોજન છે. તમે એને મૂકી દો." રાજા એ કહયું, " અત્યારે એ મારા શરણમાં છે એટલે હું એની રક્ષા કરવા માટે કર્તવ્યબધ્ધ છું. હું તને જોઈએ એવું ભોજન કરાવીશ, તું તારું પેટ ભરવા માટે એક જીવની હત્યા શું કરવા ઈચ્છે છે?"

બાજે આગ્રહ કર્યો, " અગર તમે એને છોડશો નહી, તો હું ભુખથી મરી જઈશ. હું એક માંસાહારી છું. જો હું મરી જઈશ, તો એના માટે તમે જવાબદાર રહેશો અને તમને પાપ લાગશે."

 બાજ સહમત ન થતાં અંતે મેઘરથે કહયું, " હે બાજ! જ્યાં સુધી હું જીવું છું, હું તને આ કબૂતરને મરવા નહી દઉં. એના બદલામાં હું તને મારા શરીરમાંથી આ કબુતરના વજન જેટલું માંસ કાપીને આપું છું. એનાથી તું તારું પેટ ભર પણ કોઈ પણ સંજોગોમાં હું તને મારી શરણમાં આવેલા પક્ષીને મારવા નહી દઉં." 

બાજે આ પ્રસ્તાવને સંમતી આપી. રાજાએ કબુતરને ત્રાજવાના એક પલડામાં મુક્યું અને બીજા પલડામાં પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાપીને મુકવાનું શરુ કર્યુઁ. ત્યાં ઉપસ્થિત બધા જ આ દ્રશ્ય જોઈને અવાચક બની ગયા. બધાની આંખો અશ્રુભીની થઈ ગઈ.

પણ આ શું ? કબુતરનું વજન વધ્યા જ કરતું હતું. રાજાએ પોતાના શરીરમાંથી માંસ કાપીને પલડામાં મુકવાનું ચાલુ જ રાખ્યું. રાણીઓ અને સભાસદો માટે આ દ્રશ્ય જોવાનું અસહ્ય થઈ પડ્યું. એમણે રાજાને વિનંતી કરી, "હે રાજન, આપ આપનું અમુલ્ય જીવન એક સાધારણ કબુતર માટે બલિદાન ન આપો." પણ રાજા માન્યા નહી.

અંતે બાજે પણ સહાનુભૂતી સાથે દરખાસ્ત કરી પણ રાજાએ ના પડી.

રાજાએ પોતાના શરીરમાંથી માંસ કાપીને ત્રાજવાના બીજા પલડામાં મુકવાનું ચાલુ રાખ્યું. અંતે જયારે માંસના ટુકડા ઓછા પડ્યા ત્યારે રાજા પોતાની જગ્યાથી ઊઠીને ત્રાજવાના બીજા પલડામાં બેસી ગયા. આ જોઈ ત્યાં ઉપસ્થિત બધા જ સ્તબ્ધ થઈ ગયા.

અચાનક ત્યાં એક દિવ્ય પ્રકાશ થયો અને એક દેવ ત્યાં ઉપસ્થિત થયા. કબુતર અને બાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. દેવે રાજાને સંબોધીને કહયું, " મહારાજ! દેવરાજે પોતાની સભામાં તમારી દયા અને સાહસની પ્રસંશા કરી હતી. હું પોતા પર કાબુ ના રાખી શક્યો અને અહીં તમને પારખવા પોતે જ આવી પહોંચ્યો. આ બધું મારું જ નિર્માણ કરેલું હતું. તમે એમાંથી સફળતાપૂર્વક પાર પડ્યા છો. દેવરાજે તમારી જે પ્રસંશા કરી હતી એના તમે હકદાર છો. મને ક્ષમા કરજો". દેવે મેઘરથના ઘા તરત જ ભરી આપ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

આજે પણ જયારે પણ દીન દુઃખીને સહાય કરવા જેવા ઉદાત્ત સિધ્ધાંતવાળો વ્યવહાર અને દયાની વાત થાય છે ત્યારે રાજા મેઘરથનું નામ સન્માન સાથે લેવાય છે. રાજા મેઘરથની અસામાન્ય પવિત્રતા અને નિશ્ચયે દેવને પણ એમની સામે પૂજ્યભાવે નમાવી દીધાં.

એટલે મિત્રો, તમે જોયું, પવિત્રતા, દયા અને વચન પાલન માટેના સમર્પણભાવનું શું પરિણામ આવે છે? અહિંસા એ એક મોટો ધર્મ છે એ ખાસ ધ્યાનમાં રાખજો.