એકવાર જ્યારે દીપ અને તેના મિત્રો બગીચામાં રમતા હતા, ત્યારે તેના મિત્રો તેને 'મૂર્ખ, મૂર્ખ' કહીને ચીડવતાં હતાં અને પછી તેઓ જોર જોરથી હસવા લાગ્યા. દીપ આનાથી ખૂબ અપસેટ થઈ ગયો. દૂર બાંકડા પર બેઠેલા મનોજકાકાએ આ બધું જોયું. તેમણે બાળકોને ઈશારો કરીને પૂછ્યું, "શું તમે વાર્તા સાંભળવા માંગો છો?"
વાર્તા સાંભળવાની કોને ન ગમે? બાળકો ખુશ થઈ ગયા અને ઝડપથી તેમની આસપાસ ભેગા થઈ ગયા. મનોજકાકાએ વાર્તા શરૂ કરતાં કહ્યું, "લાંબા સમય પહેલા એક ઋષિમુનિ રહેતા હતા. તમને ખબર છે ઋષિમુનિ શું કરે?" કોઈએ કહ્યું, "તેઓ તપ કરે," જ્યારે કોઈએ કહ્યું, "તેઓ ધ્યાન કરે."
મનોજકાકા બોલ્યા, “તમારી વાત સાચી છે. ઋષિમુનિઓ હંમેશા તપસ્યા કરતા હોવાનું જાણવા મળે છે. તેઓ તેમના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તેમનું આખું જીવન શિસ્તબદ્ધ થઈને વિતાવે છે. એક ઋષિમુનિ શારીરિક ખોડ સાથે જન્મ્યા હતા. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેઓ ઊંચી એડી રાખીને ચાલતાં હતાં. તે સામાન્ય રીતે ચાલવા, બેસવા કે ઊભા રહેવામાં અસમર્થ હતા. અષ્ટાવક્ર આટલા મહાન ઋષિ હોવા છતાં, શું તમે જાણો છો કે તેઓ આવી વિકૃતિઓ સાથે કેમ જન્મ્યા?
“ના” બાળકોએ વધુ જાણવાની આતુરતા સાથે માથું હલાવતા કહ્યું. મનોજ કાકાએ આગળ કહ્યું, “આ ઋષિમુનિને તેના આગલા જન્મમાં વિકલાંગ વ્યક્તિને ચીડાવવામાં ઘણો આનંદ આવતો હતો. આ પાપના પરિણામ સ્વરૂપે તેઓ આ જન્મમાં એવી જ ખોડ સાથે જન્મ્યા હતા." આટલું બોલીને મનોજકાકા થોડીવાર ચૂપ રહ્યા, પછી બાળકો તરફ જોઈને બોલ્યા, “કુદરતનો નિયમ એવો છે કે, જેને તમે ચીડવ્યા હોય આવતા જન્મમાં તમારે એવા જ બનવું પડશે. જો તમે કોઈને ચીડવીને તેને ગધેડો કહેશો, તો તમારે ભવિષ્યમાં એક જન્મ ગધેડો બનીને જીવન પસાર કરવું પડશે.
જો તમે કોઈને ‘સેન્સલેસ’ કહો છો, તો તમે પણ આવતા જન્મમાં ‘સેન્સલેસ’ થશો. જો તમે કોઈને ‘મૂર્ખ’ કહો છો, તો તમે પણ ભવિષ્યમાં મૂર્ખ તરીકે જ જન્મશો. આ સાંભળીને બાળકોને તેમની ભૂલનો અહેસાસ થયો. તેઓએ તરત જ દીપની માફી માંગી અને ફરી ક્યારેય કોઈને ચીડવવા નહીં એવો સંકલ્પ કર્યો.
તો મિત્રો, આપણે પણ હવેથી ક્યારેય કોઈને નહીં ચીડવીએને!
Related Links:-
Animated Video- ખરો બળવાન