મિત્રો! નૂતન વર્ષાભિનંદન!
અચ્છા મિત્રો, એમ કહો કે ગયા વર્ષે તમારે, તમારા પોતાનામાં કંઈ ફેરફાર કરવો હોય એવી બાબતો હતી ? શું તમે એવું વિચાર્યું હતું કે કોઈ તમને દુઃખ આપે તોય તેનો બદલો નહીં વાળો કે પછી ગમે તે પરિસ્થિતિમાં ખુશ જ રહેશો. તમે એવો કોઈ વિચાર કર્યો હતો ? કંઈ નક્કી કર્યું હતું ? આગળ વાંચીને જોઈએ કે કયો નિશ્ચય કરવા જેવો છે...

નિશ્ચય
આવો મિત્રો, આપણે ‘સુખની દુકાન’ વિશે થોડું જાણીએ! ધારી લો કે આ દુકાનમાં ફક્ત સુખ જ વેંચાય છે. હવે, આ દુકાનમાં કોઈ ‘વસ્તુ’ નહીં વેંચાય, પણ બીજાને સુખી કરવાની જુદી જુદી રીત મળશે. અને દુકાનમાંથી કોઈ ‘સુખ’ વેચાય તો પૈસા નહીં મળે, પણ બદલામાં તમને પોતાને જ સુખ મળશે.
આ ધ્યેય કેવી રીતે પૂરો કરશું ?
રોજ સવારે ઊઠીને નક્કી કરીએ કે, જેને પણ મળીએ તેને કોઈક રીતે સુખ આપીએ.
આપણી આ સુખની દુકાનમાં કેવી કેવી ચીજોની જરૂર પડે છે, તે જરા જોઈએ લઈએ:
· મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનનું સાંભળવાનું
· આપણાં મિત્રને ભણવામાં મદદ કરવાની – એને ન સમજાય તે શિખવાડવાનું
· આપણી વસ્તુઓ અને રમકડા બીજા સાથે શેર કરવા
· આપણાં દોસ્તો સાથે ઝગડા નહીં કરવાના
· ભૂખ્યાને ખાવાનું આપવાનું
· કોઈ માંદુ હોય, તેનું ધ્યાન રાખવાનું અને સેવા કરવાની
આ નિશ્ચયના પરિણામ:
જે બીજાને સુખ આપે તે દેવગતિમાં જાય અને સુપરહ્યુમન બને.
એનું ચિત્ત ચોખ્ખું થતું જાય અને એનાથી તેની એકાગ્રતા ખૂબ વધે. બીજાને દુઃખ આપવાથી ચિત્ત અશુદ્ધ થઈ જાય એટલે પછી ભણવાનું યાદ રાખવામાં બહુ જ અઘરું પડે. અને જે કામો કરવાના હોય તે પણ ભૂલી જવાય.
પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશા કહેતા કે, “આપણી દુકાનમાં જે વસ્તુઓ રાખીએ, તે બીજા પાસેથી ક્યારેય લેવા જવું ના પડે.”
એટલે, આપણે સુખની દુકાન ખોલીએ તો આપણને તો ક્યારેય જીવનમાં સુખ ઓછું જ ના પડે. બીજાને સુખ આપ્યું હોય તો આપણને તો સુખ મળે જ. કુદરતનો કાયદો છે કે, પોતાના ફળ (વસ્તુ, સુખ) બીજાને આપીએ તો કુદરત આપણું બધું સાચવી લે, બધી જરૂરીયાત પૂરી કરે.
આટલું જ સમજીને, જો આપણે બીજાને સુખ આપવા લાગીએ, તો આપણને તો સુખ મળે જ.
તો મિત્રો! ચાલો આપણે આ નવા વર્ષે એક નિર્ણય લઈએ કે, ‘સુખની દુકાન’ ખોલીશું અને આપણી આજુ બાજુ બધાને સુખ આપ્યા કરીશું.

Related Links:
Moral story- પોતાનું સુખ બીજા સાથે શેર કરવું