નવરાત્રીની ઉજવણી શેના માટે?

આપણે નવરાત્રી કેમ ઊજવીએ છીએ ?

અંબામાની મૂર્તિ, રંગીન માટલામાંથી દીવડા, ચમકતા ચણીયાચોડી અને આખી રાત ભક્તિ કરતા કરતા ઢોલના તાલે નાચવાનું. આ બધું ક્યારે થાય? નવરાત્રી ! શું તમને નવરાત્રી વિશે વધારે જાણવું છે? કોની ભક્તિ કરીએ છીએ, ગરબા કેમ કરીએ છીએ અને અંબા માતાની ભક્તિનું મહત્વ શું છે?

આવા બધા જ પ્રશ્નોનો જવાબ મેળવવા આગળ વાંચો –

નવરાત્રીનું મહત્વ શું છે ?

• નવરાત્રી એટલે નવ=૯ અને રાત્રી= રાત. નવરાત્રીનો મહોત્સવ નવ દિવસ ચાલે છે જેમાં લોકો અલગ અલગ રીતે અંબા માતાની ભક્તિ કરે છે. કોઈ પૂજા-અર્ચનાથી, કોઈ ઉપવાસથી, કોઈ વ્રતથી તો કોઈ ગરબા અને દાંડિયાની રમઝટમાં નાચીને.
• વેર, ઈર્ષા, અજ્ઞાન, ક્રોધ, લાલચ, હિંસા જેવા અંદર અને બહારના દુર્ગુણોનો નાશ કરવા.
• નવરાત્રીનો દસમો દિવસ ‘દશેરા’ તરીકે ઉજવાય છે.

નવરાત્રી વખતે આપણે અંબા માતાની ભક્તિ કેમ કરીએ છીએ?

અંબા માતાજી 'આધ્યાશક્તિ' તરીકે ઓળખાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, અંબા માતાની ભક્તિ કરવાથી :-

• પ્રકૃતિ સહજ અને સરળ બને. સહજતા એટલે બુદ્ધિ અને અહંકારની ડખલ વગર વર્તવું.
• મોક્ષમાર્ગમાં આવતી બધી મુશ્કેલીઓ પાર થાય.
• માનવતા અને પ્રમાણિકતાના રસ્તે આગળ વધાય.

આપણે ગરબા કેમ કરીએ છીએ ?

ભક્તિ એટલે કે જેની ભજના કરીએ તેવા થઇ જવું.

અંબા માતાની ભક્તિમાં લોકો ગરબા કરે છે. એમાં બધા લોકો એક ગોળ બનાવીને તાળીઓ વગાડીને અમુક તાલ અને રીધમથી નાચે. આવી રીતે નાચવાથી અને તાળીઓ વગાડવાથી અંદરની બધી (અજ્ઞાન રૂપી) અશુદ્ધિ દૂર થઇ જાય અને સાચું જ્ઞાન અંદર પ્રવેશી શકે તે માટે જગ્યા બને.

નવરાત્રી આખા ભારતમાં ઉજવાય છે, પણ તેના નામો જુદા જુદા છે. ઉત્તર ભારતમાં ‘રામલીલા’, પૂર્વ ભારતમાં ‘દુર્ગા પૂજા’ અને દક્ષીણ ભારતમાં ‘કોલું’ તરીકે ઉજવાય છે.

આમ આપણે જોયું કે નવરાત્રીના સુંદર મહોત્સવ દ્વારા વિવિધ કળાઓની ખૂબ જ ઉલ્લાસ અને આનંદભેર ઉજવણી થાય છે.

છેલ્લે એક શ્લોક જોઈએ, જેમાં આપણી અંદર બીરાજેલી 'આધ્યાશક્તિ'ને નમન કરે છે :

‘યા દેવી સર્વ ભૂતેશું શક્તિ રૂપેણ સંસ્થિતા, 

નમસ્તસ્યેય નમસ્તસ્યેય નમસ્તસ્યેય  નમો નમઃ”

એનો અર્થ છે :

હું સર્વ જીવોમાં શક્તિ રૂપે રહેલાં એવાં માતાજીને વારંવાર નમું છું.

 

Related Links

Video on Importance of Garba